નમસ્તે મિત્રો,
મને આ મેગેઝિન મારફતે મારી માનસિક બિમારી ના અનુભવો અને તેમાથી બહાર નિકળી નોર્મલ જીવન તરફ પ્રયાણ કરવાની સફર વિશે વર્ણવવાનો અવસર મળ્યો છે, જેનો મને આનંદ છે.
મારુ નામ દિપક (નામ બદલ્યુ છે) છે. હાલ હું એક પ્રતિષ્ઠીત શાળામાં શિક્ષક તરિકે ફરજ બજાવુ છુ. મારો જન્મ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયેલ પરંતુ જીવનમાં બાળપણથી યુવાની સુધી ઘણા બધા ઉતાર-ચઢાવ જોયા. જેમા સૌથી મોટો આઘાત વર્ષ ૨૦૦૬ માં પિતાજીના અવસાનથી લાગ્યો. ઘરમાં બધાજ ભાઇ-બહેનોમાં હું સૌથી મોટો ભાઇ, એ સમયે મારો પણ અભ્યાસ શરુ જ હતો. કુટુંબીજનો ની મદદથી ખુબજ સંઘર્ષ સાથે મે મારુ બી.એડ પુર્ણ કર્યુ અને વર્ષ ૨૦૧૦ માં ભાવનગર જીલ્લાની એક પ્રતિષ્ઠીત શાળામાં હું પ્રાઇવેટ શિક્ષક તરિકે જોડાયો.
પિતાજીના અવસાન બાદ હું ખુબજ અસલામતી અનુભવતો હતો અને શિક્ષક તરિકેના મારા કાર્યોમાં પણ મને ખુબજ કડવા અનુભવો થવા લાગ્યા. મને ખુબજ ગુસ્સો આવતો હતો, ભવિષ્યની ચિંતા સતાવ્યા કરતી હતી. મારો સ્વભાવ ચિડીયો થઇ ગયો હતો. દરેક નાની-નાની વાતને હું બિનજરુરી એવી ખુબજ ગંભીરતાથી લેતો હતો જાણેકે, શાળા કે વર્ગની સંપુર્ણ જવાબદારી મારા પર જ છે, અને હું જ કોઇપણ ઘટના માટે જવાબદાર છુ. આ સ્ટ્રેસ એટલો વધી જતો કે હું બસ કે ટ્રેઇન માં મુસાફરી કરવામાં પણ અસલામતી અનુભવતો હતો. સતત અસલામતી, ગુસ્સા, તણાવ, ચિડીયાપણા ના લીધે મને ૨૦૧૩માં બલ્ડ પ્રેશર ની બિમારી લાગુ પડી. અને ફિઝીશીયનની સલાહ બાદ મેં બી.પી. ની દવાઓ લેવાનુ શરુ કર્યુ.
આ દરમિયાન મારી સગાઇ થઇ ગઇ હતી. એક દિવસ મેં છાપામાં મનોચિકિત્સક નો આર્ટિકલ વાંચ્યો, જેમાં વિવિધ માનસિક બિમારીઑ ના લક્ષણૉ અને સારવાર અંગે ચર્ચા કરેલ હતી. મને થયુ જો હાલ મારી સગાઇ થઇ ગઇ છે, અને જો આ માનસિક સ્થિતી લગ્ન બાદ પણ રહેશે તો મારુ વિવાહીત જીવન સુખરુપ પસાર નહીં થાય. આથી મે મારા નાનાભાઇ (જે એક મેડિકલ સ્ટુડન્ટ છે), જેમની સાથે ચર્ચા કરી અને ભાવનગરના યુવા મનોચિકિત્સક ને મળવાનુ અને વાતચિત કરવાનુ નક્કી કર્યુ.
મેં વર્ષ ૨૦૧૫ ના જુલાઇ મહીનામાં રોજ મેં મનોચિકિત્સક ડોક્ટર સાથે પ્રથમ વખત મુલાકાત કરી. અને તમાબ બાબત ખુલ્લા મને જાણે કોઇ ગુનેગાર કન્ફેશન બોક્સ માં ગુનાની કબુલાત કરતો હોય તેમ ડોક્ટર સાહેબને જણાવી. મનોચિકિત્સક ડોક્ટર સાહેબે દવાઓ લખી આપી, જેની મેં મારા બી.પી. ની સારવાર કરતા ફિઝિશીયન સાહેબની મંજુરી બાદ શરુ કરી. લગભગ પંદર મહીનાના સમયગાળાની સારવાર બાદ હું તદ્રન નોર્મલ જીવન જીવી રહ્યો હતો અને મનોચિકિત્સક ના માર્ગદર્શન હેઠળ દવાઓ ધીમે-ધીમે ઘટાડવાની અને બંધ કરવાની શરુઆત કરી દીધી હતી.
પરંતુ ઇશ્વરને કંઇક બીજુ જ મંજુર હતુ. મારા લગ્ન ના એક મહીના પહેલા મારી સગાઇ તુટી ગઇ. વળી પાછો હું ચિંતા અને ટેન્શનમાં રહેવા લાગ્યો આ સમયે મારી દવાઓ બંધ થવાની અણી પર હતી. ચોવીસ કલાકની માત્ર અરધી ટીકડી લઇ રહો હતો. આ સમયે મનોચિકિત્સક સાહેબે મને હમણા દવાઓ ઘટાડવા થોભી જવાની અને ટુંક સમય માટે થોડી ચિંતા હળવી થાય તેવી વધારાની દવાઓ લેવાની સલાહ આપી. હું ધિમે-ધિમે પુર્વવ્રત નોર્મલ થઇ ગયો. આજે આ ઘટનાને એક વર્ષ થઇ ચુક્યુ છે. હું આઘાત માંથી બહાર નિકળી આનંદથી જીવી રહ્યો છુ.
ફરી મનોચિકિત્સક ડોક્ટર સાહેબે મને દવાઓ ઘટાડી બંધ કરવાની સલાહ આપી. હાલ તા. ૨૮-૦૯-૨૦૧૮ ના જ્યારે આ લખી રહો છું ત્યારે મેં દવાઓ ઘટાડી અઠવાડીયાની બે વખત અરધી ટીકડી સુધી પહોંચી ચુક્યો છું. અને ધીરે-ધીરે દવાઓ સંપુર્ણપણે બંધ કરી શકુ તેવા પ્રયત્નો કરી રહો છુ. (અલબત્ત, ડોક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જ).
મારુ તો લોકોને માત્ર એટલુ જ કહેવાનુ કે, માનસિક બિમારી નો ખ્યાલ લાંબાગાળે આવે કે ટુંકાગાળે, જો યોગ્ય સમયે તેની સારવાર લેવામાં આવે તો મારા અંદાજ મુજબ તેમા અચુક ફાયદો થાય છે.
ઉપરોકત કેસ દર્દીએ જાતે મગજ અને માનસિક રોગ અંગે જાગૃતીના શુભ હેતુ થી લખેલ છે. દર્દીએ ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક પર સારવાર લીધેલ છે. દર્દીનુ નામ અને અન્ય વિગતો ગોપનિયતાના હેતુ થી બદલેલ છે.
જો આપ અથવા આપના પરિવારજન મગજ અને માનસિક રોગના દર્દિ રહી ચુક્યા હોય અને આપનો કેસ મગજ અને માનસિક રોગ અંગે જાગૃતી ના શુભ હેતુ થી ચર્ચવા માગતા હો તો [email protected] પર ઇ-મેલ અથવા 9925056695 વોટ્સ-એપ મારફતે જણાવશો. માનસિક બિમારી અંગે માર્ગદર્શન માટે [email protected] પર ઇમેલ મારફતે સંપર્ક કરો.
ડો. આઇ. જે. રત્નાણી MD
મગજ અને માનસિક રોગ નિષ્ણાત
ઓજસ ન્યુરો-સાઇકિયાટ્રી ક્લીનીક,
શ્રી મણી પ્લાઝા, કાળુભા રોડ, કાળાનાળા, ભાવનગર, ૩૬૪૦૦૧
મો. 9978739359, ઇમરજ્ન્સી કોન્ટેક નંબરઃ 9925056695
Email: [email protected]